Wednesday, June 14, 2006

આવીને કોણ પાછું ગયું છદ્મવેશમાં ?


આવીને કોણ પાછું ગયું છદ્મવેશમાં ?
આંખો સ્થગિત થઈ ગઈ મારી રવેશમાં.

ફંફોસતો રહ્યો હું જીવનભર અહીં-તહીં,
ખોલ્યાં નયન, હતી તું મારા સંનિવેશમાં.

અંદર જે છે તે આખરે તો આવશે બહાર,
છૂપાઈ શકશે ક્યાં લગી કો’ પહેરવેશમાં ?

જો મૂલ્ય જાણવું હો કોઈનું તો સૌપ્રથમ,
રહેવું પડે બે-ચાર દિ’ શૂન્યોના દેશમાં.

શબ્દોના સૌ શિખર થશે સર ત્યારે શ્વાસની
બાંધીશ છેલ્લી ગાંઠ હું મારા આ કેશમાં.

ડૉ.વિવેક મનહર ટેલર

3 Comments:

At 6/14/2006 10:04:00 AM, Anonymous Anonymous said...

One more marvelous writing........

 
At 6/21/2006 01:44:00 AM, Anonymous Anonymous said...

plz write glossary of hard terms used. thanks

 
At 6/21/2006 11:42:00 PM, Blogger વિવેક said...

શ્રી મનવંતભાઈ,


શબ્દોના સૌ શિખર થશે સર ત્યારે શ્વાસની
બાંધીશ છેલ્લી ગાંઠ હું મારા આ કેશમાં.

-ગઝલના આ મક્તામાં એક ઐતિહાસિક સંદર્ભને સાંકળવાની મારી કોશિશ હતી, પણ લાગે છે કે હું એમાં વિફળ નીવડ્યો છું. એટલું મારું કવિકર્મ કાચું જ સ્તો. નંદરાજા દ્વારા અપમાનિત થયા બાદ ચાણક્યે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી નંદવંશનું નિકંદન ન કાઢી નાંખું ત્યાં સુધી મારા કેશ હું ખુલ્લા જ રાખીશ અને ત્યારબાદ જ હું મારા વાળમાં ગાંઠ વાળીશ.

આ શેર વડે મારે કદાચ કહેવું હતું કે મારા જીવનનું અંતિમ લક્ષ્ય શબ્દ અને કેવળ શબ્દ જ છે અને જે ક્ષણે હું શબ્દનો સાક્ષાત્કાર કરી લઈશ તે ઘડી એ હું આખરી શ્વાસ લઈ મૃત્યુની ગોદમાં સૂઈ જવાનું પસંદ કરીશ...


મારી વાત મારા વાંચક સુધી યોગ્ય સ્વરૂપે ન પહોંચાડી શકવા બદલ દિલગીરી અને દુઃખ અનુભવું છું...

 

Post a Comment

<< Home