Wednesday, December 27, 2006

મારા શબ્દોનું હવે નવું સરનામું, નવું સ્વરૂપ...

પ્રિય મિત્રો,

શબ્દોના શ્વાસ લઈને આપ સૌને મળવાનું શરૂ કર્યું ત્યારે સ્વપ્નેય ખ્યાલ ન્હોતો કે આટલો બધો પ્રેમ મને અહીંથી સાંપડશે... આપના આ પ્રેમ બદલ હું સદૈવ આપ સૌનો ઋણી રહીશ. બ્લોગસ્પૉટ.કોમ પર ઓછી સવલતો અને ઝાઝી તકલીફો વર્તાતા નવા યુઝર-ફ્રેન્ડલી વર્ડપ્રેસ.કોમ પર આ બ્લોગ કાયમી ધોરણે ટ્રાન્સફર કરી રહ્યો છું એટલે આ જૂનો બ્લૉગ કાયમ માટે બંધ કરી રહ્યો છું. મારા શબ્દોનું નવું સરનામું ટૂંકુ અને ખાસ્સુ સરળ પણ છે.

આપનો મબલખ પ્રેમ લઈને મને મળવા હવેથી આ સરનામે આવજો:

www.vmtailor.com


"શબ્દો છે શ્વાસ મારા"ના નવા સંસ્કરણને માણવા અહીં ક્લિક્ કરો:

મળતા રહીશું, શબ્દોના રસ્તે....

આપનો જ,

વિવેક.

Saturday, December 23, 2006

આ દુઃખ એ જ મારો સહજભાવ છે

(સામા કિનારે... ...જોગી મહેલ, રણથંભોર, 4/12/06)

આ દુઃખ એ જ મારો સહજભાવ છે,
સતત આ રમતમાં એનો દાવ છે.

છે સામા કિનારે નગર સુખ તણું,
ને તળિયા વગરની આ મુજ નાવ છે.

અમે કાંઈ સામું કહી ના શક્યાં,
ગણ્યો એને આપે અહોભાવ છે.

બિમારી હતી શી મને મીઠી, યાર?
રૂઝાયા નથી જે મળ્યા ઘાવ છે.

ન તોડ્યું કદી દર્દનું ઘર અમે,
રહી વક્ર આ રાણકીવાવ છે.

જીવનના પલાખાં ન શીખ્યાં કદી,
લખ્યું માથે જાતે: ‘ઢબુ સાવ છે.’

જશે શબ્દ જે દિ’, જશે શ્વાસ પણ,
આ કેવી છે ચાહત ? ને શો ચાવ છે ?!

ડૉ.વિવેક મનહર ટેલર

Wednesday, December 20, 2006

સદા તત્પર

(મને પાનખરની બીક ના બતાવો... ...રણથંભોર, 03/12/2006)

ગઝલ ! તું રહેજે રજાઈ થવા સદા તત્પર,
મને જે ઠંડી ચડે, ભાંગવા સદા તત્પર.

ઉસેટવા, જે લખું હું, હવા સદા તત્પર,
અમેય આંધીમાં દીવો થવા સદા તત્પર.

તમે ના ભૂલ્યા મને યાદમાં જડી દઈને,
અમે તો યાદને પણ ભૂલવા સદા તત્પર.

સ્મરણનો પીપળો મનફાવે ત્યાં ઊગી જાવા
આ મનની ભીંતને પણ ફાડવા સદા તત્પર.

આ મીઠો ટહુકો જો હો બેસવાનો સાલોસાલ
થવા હું ફૂલ, ફળો, છોડવા સદા તત્પર.


ડૉ. વિવેક મનહર ટેલર


ઉસેટવું = ઉખેડી નાખવું, કાઢી નાખવું, નાખી દેવું, ફેંકી દેવું)

Saturday, December 16, 2006

કદી વાંસળી આ બરાબર ન વાગી

(પ્રથમ એપૉઈન્ટમેન્ટનું સ્મિત... ...રણથંભોર, 03-12-2006)

કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.

બદલતી રહી કરવટો પાંપણો, બસ !
અજંપાનો સૂરજ ગયું કોણ દાગી ?

હશે ક્યાંક છિદ્રોમાં કોઈ પુરાણ જ,
કદી વાંસળી આ બરાબર ન વાગી.

નથી ચાહી શક્તો, નથી ત્યાગી શક્તો,
જીવન છે ને હું છું જનમનો અભાગી.

હજી એ કળાતો નથી કંઈ બરાબર,
હજી કાંચળી પૂરી ક્યાં એણે ત્યાગી ?

પ્રસિદ્ધિનું પાણી ભીંજવતું રહ્યું પણ
રહ્યો શબ્દ અણનમ, હતું કાષ્ઠ સાગી.

ડૉ.વિવેક મનહર ટેલર

Wednesday, December 13, 2006

ક્ષણના મહેલમાં

(ક્ષણોના મ્હેલમાંથી... ...રણથંભોર, 03/12/2006)

કેદ છું સદીઓથી ક્ષણના મહેલમાં,
છું છતાં ક્યાં છું હું આખા ખેલમાં ?

યાદમાં રહું લીન હું એથી સદા,
એ મળે નિશ્ચિત ત્યાં ક્ષણ જીવેલમાં.

કાંકરો મારો તો વહેતું આવશે,
રહેશે બાકી બંધ કાયમ હેલમાં.

લાગી આવ્યું ઓસને, ઊડી ગયું...
ફૂલે ખુશ્બૂને કહ્યું શું ગેલમાં ?

તેં નજર ધસમસતી માંડી મારા પર,
શું તણાવાનું બચે આ રેલમાં ?

આટલા વર્ષેય સમજાયું નહીં,
ભાળી શું ગઈ'તી તું આ રખડેલમાં ?

શ્વાસની જેમ જ બને અનિવાર્ય જે
શબ્દ એવા ક્યાં મળે છે સ્હેલમાં ?

ડૉ.વિવેક મનહર ટેલર

Friday, December 01, 2006

ખીલી છે મૌનની મોસમ

(કિલ્લાની રાંગ પરથી, સુવર્ણનગરી-જેસલમેર, 2004)

બધું બોલીને શું થાશે ? કદી મોઘમ કશુંક રાખો,
ખીલી છે મૌનની મોસમ, તમે ક્યારેક તો વાંચો.

તમે ચાહો છો જેને, ચાહતો હોય એ બીજાને પણ
તમે એનેય જો ચાહી શકો તો પ્રેમ છે સાચો.

ઘણી વ્યક્તિ ઘણા દૃશ્યોને જોતાં એમ પણ લાગે,
હજી હમણાં જ તો આને મળ્યો છું, જોયું છે આ તો.

હું ચોરસ ઓરડામાં બંધ રહીને જોઉં છું દુનિયા,
ફૂલો ચોરસ છે, ચોરસ ખૂશ્બુ ને ચોરસ છે આ આભો.

તમે ચાલ્યા ગયા તો પણ હજી જીવી રહ્યો છે એ,
હવે સમજાયું એને, એ હતી સૌ કહેવાની વાતો.

હવાની આવ-જા હો એમ પાનાં ઊંચા-નીચા થાય,
ગઝલના ફેફસાંમાં શું છે, મારા શબ્દો કે શ્વાસો ?

ડૉ.વિવેક મનહર ટેલર


આ સાથે આવતા અઠવાડિયા પૂરતું નાનકડું વેકેશન જાહેર કરું છું. હવે મળીશું સી...ધા 13 ડિસેમ્બરે...મળતા રહીશું, શબ્દોના રસ્તે!

Wednesday, November 29, 2006

પથ્થર (મુક્તક)

(ભૂલા પડવાની મજા... ...ઓક્ટોબર,2006)

મારી દુઆ સાચી હશે તો કોક દિ' ફળશે તને,
મારો પ્રણય સાચો હતો એની સમજ પડશે તને;
પથ્થર છું છો તુજ રાહનો, ઠોકર નથી, ના...ના...નથી,
પગ મૂક, ઊંચાઈ પગથિયાની સદા મળશે તને.

ડૉ.વિવેક મનહર ટેલર

Saturday, November 25, 2006

એક વેશ્યાની ગઝલ - મારે કંઈક કહેવું છે...

(પ્રણયચિત્રો... ...ખજૂરાહો, 2004)

એક વેશ્યાની ગઝલ... હું સારા શબ્દોમાં એમ પણ લખી શક્યો હોત કે આ એક રૂપજીવિનીની ગઝલ છે યા ગણિકાની ગઝલ છે... પણ કારેલું લઈને આવવું હોય તો કેરીની છાલમાં ન લાવી શકાય એ હું સમજું છું અને એ જ મારી ફિતરત છે...ઘણા બધા વાચકમિત્રોએ એકી અવાજે વધાવી લીધો, કેટલાકે અહીં કૉમેન્ટમાં તો કેટલાકે ઈ-મેઈલ વડે...! મેં કદી ન સાંભળેલા અંગ્રેજી શબ્દો વડે કેટલાક ખાસ મિત્રોએ ખાસ્સી એવી વધામણી પણ લીધી અને એના વિપરીત છેડે એક કોલ-ગર્લે પણ એનો આંસુસભર પત્ર મોકલી આપ્યો... ખરાબ નનામી કૉમેન્ટ કાઢી નાંખવા માટે પણ ઘણા મિત્રોએ આગ્રહ સેવ્યો, પણ મારું શબ્દભંડોળ વધારતા આ પ્રતિભાવો જ તો મારી તાકાત છે... જે અનામી મિત્રએ ગ્રુપમાં વેશ્યાના નામોલ્લેખવાળો મેઈલ મોકલવાના ગુનાસર એવા અપશબ્દો પાઠવ્યા કે મને મારા અંગ્રેજીભાષાના અજ્ઞાન પર શરમ ઉપજી. મૌન જ મારો સાચો પ્રતિભાવ રહેવાનો હતો પણ આજે બે વાત કહેવાનું મન થાય છે એક વડીલમિત્રએ આપેલા પ્રતિભાવના કારણે.

વડીલમિત્રએ પ્રતિભાવ આપતા કહ્યું કે આટલા બધા વખાણ થયા પછી, થોડું કડવું લખવાની હિમ્મત કરું છું. એમણે એવું પણ કહ્યું કે જાતીય અંગોને લખાણમાંથી દૂર રાખવાની પ્રથા અને મર્યાદા તોડવા જેવી નથી. નેટ આવા દૂષણોથી ખદબદે છે અને યુવાપેઢીને ગુમરાહ કરે છે. આ વાતમાં મને ભારતવર્ષની મહાન સંસ્કૃતિ અને સભ્યતાની હત્યા થતી જણાય એટલે આ લખવા મજબૂર થયો છું.

સેક્સનું નામ પડતાં જ આપણા નાકના ટેરવાં કેમ ચઢી જાય છે ? સેક્સ અનિષ્ટ છે, તો સર્જનહારે એનું અસ્તિત્વ જ શા માટે ઊભુ કર્યું? એકકોષી જીવોને પ્રજનન માટે સંભોગ કરવાની જરૂર પડતી નથી. કુદરતે એવી કોઈ વ્યવસ્થા આપણા માટે શા માટે ન વિક્સાવી? અને લખાણમાં જાતીયતાને દૂર રાખવાની પ્રથા? અને મર્યાદા? ભારતવર્ષનું સૌપ્રથમ કાવ્ય કેટલાએ વાંચ્યું છે ? આદિકવિ વાલ્મિકીરચિત આપણા સૌથી ધાર્મિક ગણાતા મહાકાવ્ય રામાયણમાં જે સમાજનું આલેખન છે એ ચોખલિયો, હીજડો, ગભરાયેલો, હીન સમાજ નથી. બેફામ ભોગવિલાસ ભોગવવામાં અને પોતાની ઈચ્છાઓ અને વાસનાની ચોખ્ખીચટ રજૂઆતમાં આ સમાજને કશો શરમસંકોચ અથવા કોઈ જાતનો દંભ નથી. અહલ્યાને ઇન્દ્ર સ્પષ્ટ કહે છે કે હું તારો સમાગમ ઈચ્છું છું. અહલ્યા પણ ઇન્દ્ર જોડેના અનુભવથી પોતાને બહુ મજા પડી એવું ઉઘાડેછોગે કહે છે. વાલીને હણવા આવેલો દુંદુભિ એને કહે છે, "તું રાત્રે સ્ત્રીઓને ભોગવીને સવારે લડવા આવીશ તો પણ મને વાંધો નથી". અઢી હજાર વર્ષ પહેલાના વાલ્મિકીના સમયના ભારતને ભૂલી જાઓ, તો હજારેક વર્ષ પહેલાંના ભારતમાં આ જ રામાયણમાં જે ઉમેરા થયા છે એ પણ જોઈએ: મરણ પામેલા વાલીની પત્ની તારા કહે છે કે તમે ઊભા થઈને આ બધા મંત્રીઓને રજા આપી દો તો પછી આપણે જંગલમાં સંભોગ કરીશું.(વિસર્જ્ય ઐનાન્ સચિવાન્ યથાપૂર્વં અરિંદમ, તતઃક્રિડામહે સર્વા વનેષુ મદનોત્કટા. કિષ્કિંધા કાંડ, સર્ગ 25, શ્લોક 47). (સંદર્ભ: રામાયણની અંતર્ યાત્રા, નગીનદાસ સંઘવી)

રામાયણને પડતું મૂકો... આપણી કઈ દંતકથા એવી નથી જેમાં કુમારિકાઓ સગર્ભા નથી થઈ કે દેવો અને ઋષિઓ ક્ષણાર્ધમાં કામાંધ નથી થયા યા વીર્ય અને ગર્ભની મનગઢંતરીતે આપ-લે શક્ય થઈ ન હોય?! સેક્સને દૂષણ કહેતી વખતે આપણે ભૂલી કેમ જઈએ છીએ કે કામ અને રતિ તો આપણા આરાધ્યદેવ છે?! આપણી સંસ્કૃતિ વીર્યવાન સંસ્કૃતિ છે. આપણે કયા અંગોને કવિતાથી દૂર રાખવાની વાત કરીએ છીએ? આખી દુનિયામાં કદાચ આપણી પ્રજા જ એકમાત્ર એવી પ્રજા હશે જે શિશ્નની પૂજા કરે છે... 36 કરોડ દેવતાઓ ધરાવતા આપણા દેશમાં કયા મંદિરો સૌથી વધુ માત્રામાં છે અને કોનું મહત્વ ઉચ્ચતમ છે, કહો તો?! લિંગનું જ ને ?! આપણી સ્ત્રીઓ લિંગપૂજા કરવા જાય એનો વાંધો નહીં પણ કવિતામાં લિંગ કે યોનિનો પ્રયોગ યુવાપેઢીને ગુમરાહ કરનારો?

ખજૂરાહોને લો... શું છે ત્યાં? મંદિરની દિવાલો પર કામક્રીડાનું જે તાદ્દશ ચિત્રણ ખુલ્લા આકાશ નીચે ત્યાં બારસો વર્ષ પહેલાં કરવામાં આવ્યું છે એનાથી વધારે આસનો દુનિયાની કોઈ બ્લ્યુ ફિલ્મમાં પણ જોવા મળવા શક્ય નથી. અજંટા, ઈલોરા, એલિફન્ટા, દેલવાડા કે આપણા કોઈપણ ધર્મના કોઈપણ પુરાણા મંદિરોની દિવાલ પર નિર્વસ્ત્ર અપ્સરાઓ જોવા ન મળે તો તમારી યાત્રાનો ખર્ચ મારી પાસેથી લઈ લેજો. જૈન, બુદ્ધ, શૈવાલિક યા કોઈ પણ ધર્મના મંદિરોમાં જઈને આપણે જે કળાને વખાણીએ છીએ એ કળા કપડાની નહીં, નગ્નતાની જ કળા છે. દુનિયાના કોઈપણ મહાન ચિત્રકારે નિર્વસ્ત્ર ચિત્રો ન દોર્યા હોય તો મને કહેજો. અને એ ચિત્રો જોતી વખતે આપણને ડર નથી લાગતો કે આ ખુલ્લંખુલ્લા કરાતા યૌનપ્રદર્શનથી આપણી યુવાપેઢી ગુમરાહ થશે.

મહર્ષિ વાત્સ્યાયન લિખિત મહાન ગ્રંથ 'કામસૂત્ર'ને આ સ્થાને કદી વિસરી ન શકાય. ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણનું એ એવું ઉદાત્ત ઉદાહરણ છે જે આજે પણ વિશ્વ આખાને દીવાદાંડીની જેમ પ્રકાશ પૂરો પાડે છે.... આ છે આપણી સાચી સભ્યતા...

આપણી સંસ્કૃતિ મૂળભૂતપણે ખુલ્લી અને નિખાલસ, નિર્ભીક અને સાચી સંસ્કૃતિ છે. આજે ભારતીય સંસ્કૃતિના નામે આપણે આ જે રોદણા રડીએ છીએ એ હકીકતમાં આપણી સંસ્કૃતિ જ નથી અને એટલે જ આજે ભારતની ગલી-ગલીમાં નાના નાના અમેરિકાઓ ઊછરી રહ્યાં છે. અને આપણે આજે જે વિકૃતિની સજા ભોગવી રહ્યાં છીએ એ આ કાચા-દોગલા પંડિતો અને નિર્વીર્ય વડીલોના પાપે...

કવિતાની વાત કરીએ તો ગુજરાતી કવિતામાં શરૂથી જ જાતિયતા વણાયેલી રહી જ છે. સ્તન, યોનિ, નિતંબની વાતો લઈને ઢગલાબંધ કવિતાઓ અને વાર્તાઓ અને નવલકથાઓ જન્મી છે. મન્ટોની 'ખોલ દો' હોય કે ચંદ્રકાંત બક્ષીની 'કુત્તી' હોય, સુધરેલા સમાજને એ વાર્તાઓ અશ્લીલ જ લાગી છે. કલાપી અને એના સમકાલિન કવિઓએ ખુલીને વસ્લની વાતો કરી છે. નર્મદે તો શૃંગારરસ અને કામક્રીડા પર એક આખું પુસ્તક ભરીને કવિતા લખી છે અને સંભોગનું સંપૂર્ણ વર્ણન પણ કર્યું છે. રમેશ પારેખના એક નવલિકાસંગ્રહનું નામ છે, 'સ્તનપૂર્વક'. મુકુલ કવિતાઓમાં અસંખ્યવાર બે જાંઘનું ટોળું અને યૌનગંધા સ્ત્રીઓને લઈને છડેચોક આવ્યો છે...

અને અંતે 'જાતીયતા ગોપીત જ રહે તેમાં શ્રેય અને ગૌરવ છે' એમ કહેનાર વડીલોને મારે એટલું જ કહેવાનું કે જાતીયતા જીવનની ધરી છે. ધરીને કે પાયાને અવગણીને કોઈ સર્જન કદી થઈ ના શકે. જાતીયતાને છાની રાખવાની વિકૃતિને આપણે જ્યારથી આપણી સંસ્કૃતિ ગણી બેઠાં છીએ ત્યારથીજ ભારતવર્ષની પડતીની શરૂઆત થઈ છે... આપણા બાળકોને યોગ્ય ઊંમરે જાતીય શિક્ષણ આપણે નહીં આપીએ તો ગલી-મહોલ્લાના શેરી-મિત્રો નામનો રાક્ષસ તૈયાર જ છે, આપણા ભવિષ્યને ભરખી જવા માટે....

...અંતે મારે મારી આ ગઝલ વિશે કશું જ કહેવું નથી, એ કામ મેં ગઝલ લખવા સાથે જ પૂરું કરી દીધું છે.

Wednesday, November 22, 2006

બે હાઈકુ

(ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા... સુરમ્યા તાપી, સપ્ટેમ્બર,2006)

ઝાકળચણ
ચણી જતાં પ્રભાતે
તડકાપંખી !

*

વ્યોમ વિધવા
સાંજટાણે ; લોપાયો
સૂરજચાંલ્લો !

ડૉ.વિવેક મનહર ટેલર

Saturday, November 18, 2006

અગર...

(આજનું અજવાળું... સપ્ટેમ્બર, 2006)


મારાપણાની બ્હાર વિચારી શકું અગર,
બસ, આટલું મને જો સુધારી શકું અગર.

પાછા ફરીને જીવવાની ઈચ્છા થાય છે,
જે જે કરી છે ભૂલ, મઠારી શકું અગર.

ભૂલવાનો આ વિચાર તો કેવો સરળ છે, દોસ્ત !
આચારમાં હું એને ઉતારી શકું અગર...

કોઈ રહ્યું નથી અને રહેશે ના કોઈ પણ,
જાણું જ છું હું જે એ સ્વીકારી શકું અગર...

બળતું અફાટ રણ અને છાંયો શીતળ મળે ?
મુમકિન છે, તારા વિશે વિચારી શકું અગર.

છે આશ એક એટલે ચાલ્યા કરે છે શ્વાસ,
જીવનમાં એક શ્વાસ સંવારી શકું અગર.

ચાલું છું લાશ શ્વાસની લઈ શબ્દના ખભે,
આવી ગયું મસાણ, ઉતારી શકું અગર.


ડૉ.વિવેક મનહર ટેલર

Wednesday, November 15, 2006

મનજીભાઈ...

(મારા મનજીભાઈ...                 સ્વયમ્...2005)

મનજીભાઈની નોટબુકમાં ઈચ્છાઓના લીટા,
થોડા ત્રાંસા, થોડા સીધા, થોડા આડા-ઊભા.

દિ' ઉપડે ને મનજીભાઈ તો
નીકળે સેર-સપાટે;
ના પાડો ત્યાં પહેલાં પ્હોંચે,
માને ના કોઈ કાળે,
સાંજ પડે ને થાક્યા-પાક્યા આવી પહોંચે પાછા...

મનજીભાઈ તો એના મનનું
ધારેલું કરવાના;
એની ચોટી છટકી ગઈ તો
નક્કી સૌ મરવાના,
ઢીલ જરી દીધી તો થઈ જાશે એ આઘા-પાછા...

મનજીભાઈને મળવાનું, ભઈ !
લાગે આમ તો સ્હેલું;
કોઈ ન જાણે કઈ ગલીમાં
ઘર એનું આવેલું,
પણ એના વિના તો નક્કામા છે સૌ સરનામા...


ડૉ.વિવેક મનહર ટેલર

ચૌદ નવેમ્બર...ભારતમાં બાળદિન તરીકે ઉજવાય એ તો ખરું જ, પણ છ વર્ષથી અમારા માટે એનું મહત્વ એથીયે કંઈક વિશેષ જ... મારા લાડકા સ્વયમ્ નો એ જન્મદિવસ પણ. એટલે આ નિમિત્તે આજે એક બાળગીત... અને શક્ય હશે તો આવતા એક મહિના સુધી દર અઠવાડિયે એક બાળગીત મૂકવાની ઈચ્છા છે... જન્મદિન મુબારક હો, બેટા !


Saturday, November 11, 2006

એક વેશ્યાની ગઝલ

(ભૌમિતિક મધ્યબિંદુ...              ... માથેરાન, જાન્યુઆરી,'03)

રાતને ધિક્કારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય,
રાત કેવળ પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

દુનિયાભરનું આભ છો આળોટતું લાગે પગે,
પિંજરામાં આમ તો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

થૂંકદાની હોય ના તો મોઢું ક્યાં જઈ થૂંકશે ?
'પચ્ચ્...' દઈ પિચકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

રાત આખી ખણખણાટી, હણહણાટીમાં જતી,
ને સવારે હાંફતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

ભૂખ, પીડા, થાક, ઈચ્છા, માનના અશ્વો વિના ય,
રથ સતત હંકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

જગ નથી તારું આ, છો અહીં વાત જગ આખાની હોય
શબ્દ પણ ક્યાં કાઢતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય ?

તુજ થકી દીધાપણાંના આભમાં પાછો તને
રોગ થઈને શાપતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

જ્યાં કદી ન આથમે અંધારું એ શેરીનું નામ
લાલ બત્તી પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય !

ડૉ. વિવેક મનહર ટેલર